ભરૂચ :
જન્માષ્ટમીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચમાં અત્યારથી જ કૃષ્ણભક્તિનો માહોલ છવાયો છે. શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નાના ભૂલકાંઓ માટે સ્ટેચ્યુ પાર્ક ખાતે ‘બિફોર જન્માષ્ટમી’ની વિશેષ ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સહજાનંદ બાળ ગૃહના 16 ભૂલકાંઓએ રંગબેરંગી પરંપરાગત વાઘા પહેરી રાધા-કૃષ્ણનો મનમોહક વેશ ધારણ કર્યો હતો. નાનકડા કાનુડા અને રાધિકાઓ જ્યારે સ્ટેચ્યુ પાર્ક ખાતે પહોંચ્યા ત્યારે તેમના નિર્દોષ હાસ્ય અને મધુર કલરવથી સમગ્ર પરિસર જાણે કૃષ્ણમય બની ગયું હતું.
બાળકોએ ‘નંદ ઘેર આનંદ ભયો…’ અને ‘કન્હૈયા લાલ કી જય’ના નાદ સાથે ગરબે ઘૂમીને કૃષ્ણ જન્મોત્સવની બાળસહજ ઉજવણી કરી હતી. રાધા-કૃષ્ણના વેશમાં સજ્જ નાનકડા ભૂલકાંઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને ઉપસ્થિત લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ઉજવણી દરમિયાન બાળ ગોપાલો માટે સ્ટેચ્યુ પાર્કના ખુલ્લા અને રમણીય વાતાવરણમાં વિવિધ મનોરંજક રમતો અને બાળ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મુક્ત મને આનંદ-પ્રમોદ માણ્યો હતો.
આ સમગ્ર આયોજનમાં ધાર્મિક ભાવના સાથે બાળકોને ભારતીય સંસ્કૃતિ, તહેવારો અને પરંપરાઓ સાથે જોડવાનો સુંદર પ્રયાસ જોવા મળ્યો હતો. નાનકડા રાધા-કૃષ્ણના રૂપમાં સજ્જ બાળકોની નિર્દોષ અદાઓએ ‘બિફોર જન્માષ્ટમી’ની ઉજવણીને યાદગાર બનાવી દીધી હતી.
