ભરૂચ:
આમોદ નગરપાલિકાની કામગીરી અને કથિત ભ્રષ્ટાચારને લગતી માહિતી મેળવવા કરાયેલી RTI અરજીનો એક વર્ષ સુધી નિકાલ નહીં આવતાં મામલો રાજ્ય માહિતી આયોગ સુધી પહોંચ્યો છે. ચૂંટાયેલા નગરપાલિકા સભ્ય દ્વારા કરાયેલી ફરિયાદ બાદ આયોગે સંબંધિત અરજદારને તાત્કાલિક માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો છે. જોકે, માહિતી આપવામાં વિલંબ કરનાર જવાબદાર અધિકારી સામે દંડાત્મક કાર્યવાહી નહીં થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય રશ્મિકા નવીન પરમારે ગત 17 મે, 2025ના રોજ RTI હેઠળ નગરપાલિકાની કામગીરીને લગતી ચોક્કસ વિગતો માગી હતી. કાયદા મુજબ 30 દિવસમાં માહિતી મળવી જરૂરી હોવા છતાં માહિતી આપવામાં આવી ન હતી. ત્યારબાદ પ્રથમ અપીલ અધિકારી સમક્ષ અપીલ કરવા છતાં તેનો પણ કોઈ નિકાલ કે સુનાવણી નહીં થતાં અંતે તેમણે રાજ્ય માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ કરી હતી.
આ મામલાની સુનાવણી દરમિયાન આયોગે માહિતી તાત્કાલિક આપવા માટે આદેશ કર્યો હતો. જોકે, વિલંબ બદલ જવાબદાર અધિકારી સામે દંડ નહીં ફટકારવામાં આવતાં સવાલો ઊઠ્યા છે.
રશ્મિકા પરમારે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને કાયદેસરની માહિતી મેળવવા માટે એક વર્ષ રાહ જોવી પડે તો સામાન્ય અરજદારોની શું હાલત થતી હશે?” તેમણે RTI એક્ટની કલમ-20 હેઠળ વિલંબ કરનાર અધિકારી સામે રોજના રૂ.250 અને મહત્તમ રૂ.25 હજાર સુધીના દંડની જોગવાઈ હોવા છતાં કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરાઈ હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
તેમણે આયોગ સમક્ષ પત્ર પાઠવી વિલંબના કારણોની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે નિયમોનુસાર કડક કાર્યવાહી અને દંડ ફટકારવાની માંગ કરી છે.
