ભરૂચ:
ભરૂચ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના ફાટાતળાવ વિસ્તારમાં આવેલા વૈરાગીવાડમાં એક મકાનમાં બહારથી લોકોને બોલાવી પત્તાપાનાનો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડી 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસને બાતમી મળી હતી કે, વૈરાગીવાડમાં હનુમાન મંદિર પાસે રહેતો અરવિંદ ત્રિકમ ખુમાણ પોતાના મકાનમાં લોકોને એકત્ર કરી જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી મકાનને ચારે તરફથી ઘેરી લીધું હતું. ત્યારબાદ દરવાજો ખોલાવી અંદર પ્રવેશ કરતાં 10 શખ્સો કુંડાળું વળીને પત્તાપાનાનો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી અરવિંદ ત્રિકમ ખુમાણ, દિનેશ દેવજી બારૈયા, નરેશ ખીમજી રાઠોડ, દિનેશ સવજી ડાફડા, જયકિશન જેટા સોંદરવા, અનિલ નાનજી બુમાણ, ખિમજી વાઘજી મકવાણા, વાલજી હમીર જોગદિયા, અરવિંદ ધના મકવાણા અને હિંમત જેરામ ખુમાણની ધરપકડ કરી હતી.
દરોડા દરમિયાન પોલીસે દાવ પર લાગેલી તથા આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.17 હજારથી વધુ રોકડ અને 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ.37 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
