વાંકલ::
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભારે ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. “હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી” ના ગગનભેદી નાદ સાથે સમગ્ર માંગરોળ પંથક કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયો હતો.
ભવ્ય શોભાયાત્રા અને ધાર્મિક આયોજન કરાયા.
વાંકલ ગામે અંબાજી મંદિરના પટાંગણમાંથી ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા ગામના મુખ્ય બજાર,મુક્તાનંદપાર્ક,સાઈં મંદિર અને સ્ટેશન ફળિયા થઈને પસાર થઈ હતી.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.વાંકલ સ્થિત સાઈં મંદિર અને સત્યનારાયણ મંદિર ખાતે મોડી રાત્રે પ્રભુના જન્મ સાથે પારણું ઝૂલાવવાનો લહાવો ગ્રામજનોએ લીધો હતો.વાંકલમાં ઉત્સાહી ગોવિંદાઓના મંડળો દ્વારા એકપછી એક એમ આશરે ૭૦થી વધુ મટકીઓ ફોડી નંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.આ ઉપરાંત ઝંખવાવ અને કેવડી ગામોમાં પણ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા.વાંકલ અને ઝંખવાવ ખાતે યોજાયેલ મટકી ફોડ કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગોવિંદાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
