ભરૂચ :
આમોદ તાલુકાના મછાસરા ગામમાં રાત્રિના સમયે બનેલી કરુણ ઘટનામાં ખુલ્લી ગટરમાં પડી જતાં બે વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. રહેણાંક વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે વિહાન શૈલેષ રાઠોડ ગટરમાં પડી ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કલાકોની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
મળતી માહિતી મુજબ મછાસરા ગામના રહેણાંક વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. દરમિયાન બે વર્ષનો વિહાન અચાનક ગટરમાં પડી ગયો હતો. બાળક ગટરમાં પડી ગયાની જાણ થતાં જ પરિવારજનો તેમજ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકની શોધખોળ શરૂ કરી હતી. કલાકો સુધી ચાલેલી શોધખોળ દરમિયાન ખુલ્લી ગટરમાંથી વિહાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
બાળકને બચાવવા માટે તાત્કાલિક પ્રયાસો હાથ ધરાયા હતા. તેને રિક્ષામાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તબીબોએ વિહાનને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કરુણ આક્રંદ ફેલાયો હતો.
બે વર્ષના માસૂમના અચાનક મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે સમગ્ર મછાસરા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. રહેણાંક વિસ્તારમાં ખુલ્લી ગટરનું ઢાંકણું કોની બેદરકારીથી ખુલ્લું રહ્યું અને ગટર આસપાસ સલામતીની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. માસૂમના મોત બાદ તંત્ર દ્વારા ખુલ્લી ગટરોની સલામતી અંગે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
