ભરૂચ :
દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે વધુ સુવિધા ઉભી કરતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સીટી ડેપો ખાતેથી ત્રણ નવીન એસ.ટી. બસ રૂટનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
નવા શરૂ કરાયેલા રૂટમાં અંકલેશ્વરથી સાળંગપુર, અમરેલી / છોટાઉદેપુર તેમજ વાપીનો સમાવેશ થાય છે. આ રૂટોથી ધાર્મિક, ઔદ્યોગિક અને વ્યાપારિક વિસ્તારો સાથે સીધી જોડાણ સુલભ બનશે.
આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પરિવહન સેવાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. સાળંગપુર જેવા ધાર્મિક સ્થળે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે પ્રવાસ કરતા મુસાફરોને આ નવી બસ સેવાથી વિશેષ લાભ મળશે.
તેમણે ઉમેર્યું કે અમરેલી અને વાપી જેવા મહત્વના ઔદ્યોગિક કેન્દ્રો સાથે સીધી બસ સેવા શરૂ થવાથી વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વેપારીઓ માટે મુસાફરી વધુ સરળ બનશે.
કાર્યક્રમમાં ભરૂચ વિભાગના વિભાગીય નિયામક, અંકલેશ્વર ડેપો મેનેજર, એસ.ટી. નિગમના કર્મચારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં મુસાફરો અને નાગરિકોએ હાજરી આપી નવી સેવાઓને ઉત્સાહપૂર્વક આવકારી હતી.
