ભરૂચ/નર્મદા: ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં જનરલ બેઠક પર વંદનાબેન આઈ. ભટ્ટએ ભવ્ય જીત હાંસલ કરતા નર્મદા જિલ્લામાં ગર્વ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે. હાલની મતગણતરી અનુસાર તેમને આશરે 2,03,002 મતમૂલ્ય પ્રાપ્ત થયું છે, જે તેમની લોકપ્રિયતા અને વકીલ સમાજમાં રહેલા મજબૂત વિશ્વાસનું પ્રતિબિંબ છે. કુલ 99 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોની પસંદગીમાં તેઓ અનુક્રમ નં. 14 પર વિજેતા જાહેર થયા છે.
માહિતી મુજબ, છેલ્લા 25 વર્ષ બાદ ભરૂચ–નર્મદા જિલ્લામાંથી પ્રથમ વખત આ પ્રકારનું પ્રતિનિધિત્વ મળ્યું છે, જે સમગ્ર વિસ્તાર માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. ખાસ નોંધનીય બાબત એ છે કે નાના બાર એસોસિએશનમાંથી આવેલા ઉમેદવાર તરીકે સમગ્ર ગુજરાતમાં આ અનોખો અને પ્રથમ વિજય ગણાય છે.
આ જીતને વધુ વિશિષ્ટ બનાવે છે એ હકીકત કે નાના જિલ્લામાંથી આવી ભવ્ય સફળતા પ્રાપ્ત કરવાનો બનાવ સમગ્ર દેશમાં દુર્લભ ગણાય છે. આ વિજય નર્મદા જિલ્લાના વકીલમિત્રોની એકતા, સંકલ્પ અને શક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
વંદનાબેન આઈ. ભટ્ટ છેલ્લા 12 વર્ષથી નર્મદા જિલ્લામાં પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોની સહાયમાં જોડાયેલા રહ્યા છે. તેઓ હાલમાં Assistant Government Pleader (AGP) તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે, જે તેમની કાનૂની કુશળતા અને પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
આ વિજય માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નહીં પરંતુ નર્મદા જિલ્લાના તમામ વકીલમિત્રોની એકતા અને અડગ વિશ્વાસનું પરિણામ છે. જિલ્લાના તમામ તાલુકા બાર એસોસિએશનના સભ્યોએ એકમતથી તેમને સમર્થન આપતાં આ ગૌરવપૂર્ણ પરિણામ પ્રાપ્ત થયું છે.
