પાલેજ પોલીસે 150 કિલો ગૌમાંસ, ગૌહત્યા કરવાનો સામાન જપ્ત કર્યો
ભરૂચ.
વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપનસિંહ તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરફેર અને કતલની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રમઝાન ઈદની તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ દરમિયાન પાલેજ પોલીસને ટંકારીયા ગામ પાસે આવેલ અશરફ પંડ્યાના તબેલામાં ગૌવંશ કતલ કરી વેચાણ કરવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતાં સમીર ઇકબાલ દિવાનને કતલ કરાયેલ ગાયના માંસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની તપાસ દરમિયાન આશરે ૧૫૦ કિલો ગૌમાંસ (કિંમત રૂ. ૧૫,૦૦૦) તથા એક મોબાઈલ ફોન (રૂ. ૩,૦૦૦) મળી કુલ રૂ. ૧૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ મયુદ્દીન સઈદ પંડ્યા, મિન્હાજ ઉર્ફે પી.કે. સલીમ કોલવણાવાળા અને અશરફ અયુબ પંડ્યા ભાગી જતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળની કલમો તેમજ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૭ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
