ઘરે પરત આવતા દરવાજાનો નકુચો તુટેલો દેખાયો
। ભરૂચ !
ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ શાકમાર્કેટ પાસે આવેલી ઈન્દ્રપુરી સોસાયટી ખાતે રહેતાં નિરંજન શર્મન મહેતા તેમની પત્ની સાથે નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૨૦મી માર્ચના રોજ અમદાવાદ ખાતે તેમના એક સંબંધીને ત્યાં મરણ પ્રસંગ હોઈ ત્યાં ગયાં હતાં.
પ્રસંગમાં હાજરી આપી તમામ વિધી પુરી કરી તેઓ ૨૧મી માર્ચના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં તેઓ ઘરે પરત આવતાં તેમના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમણે ઘરમાં પ્રવેશી તપાસ કરતાં તેમના બેડરૂમના કબાટના દરવાજા પણ ખુલ્લા હતાં તેમજ રૂમોમાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાતાં ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. તેમણે પ્રાથમિક તબક્કે તપાસ કરતાં ઘરમાંથી રોકડા ૨૫ હજાર તેમજ સોનાની ૧૦ ગ્રામની ચેઈન તથા સોનાનું એક ૨ ગ્રામનું પેન્ડલ ચોરી થવાનું જણાતાં તસ્કરોએ ઘરમાંથી કુલ ૧.૮૪ લાખનો હાથફેરો કર્યો હોવાનું જણાયું હતું. તેમણે ઘટના અંગે પોલીસમાં જાણ કરતાં પોલીસની ટુકડીએ સ્થળ પર દોડી આવી તસ્કરોના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
