ભરૂચ
દર વર્ષે 24 માર્ચે ઉજવાતા વર્લ્ડ ટીબી ડે નિમિતે ભરૂચ જિલ્લામાં ક્ષયરોગ અંગે જનજાગૃતિ લાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને ટીબી રોગ વિશે જાગૃત બનાવવાનો તેમજ સમયસર નિદાન અને સંપૂર્ણ સારવાર અંગે માહિતી પહોંચાડવાનો હતો.
આ રેલીમાં CDHO ડૉ. મુનિરા શુક્લા, RCHO ડૉ. હસમુખ, DTO ડૉ. વાય. એમ. માસ્ટર તથા DTC MO ડૉ. પૂનમ તાંબા, તાલુકા હેલ્થ ઓફિસર, NTEPના કર્મચારીઓ, નર્સિંગના વિદ્યાર્થીઓ અને જનરલ હેલ્થ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રેલી દરમિયાન ભાગ લેનારોએ ટીબી વિરોધી સૂત્રોચ્ચાર કરી “ટીબી હારશે, દેશ જીતશે” જેવા સંદેશાઓ સાથે જનજાગૃતિ ફેલાવી હતી. સાથે જ લોકોમાં ટીબીના લક્ષણો, સમયસર નિદાન અને સરકાર દ્વારા મફત ઉપલબ્ધ સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીબી એક સારવારયોગ્ય રોગ છે અને યોગ્ય સમયે તપાસ તથા સંપૂર્ણ સારવાર લેવાથી તે સંપૂર્ણપણે ઠીક થઈ શકે છે. સરકાર દ્વારા ટીબી દર્દીઓ માટે મફત દવા અને સહાય ઉપલબ્ધ હોવાથી કોઈપણ વ્યક્તિએ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ.
આ જનજાગૃતિ રેલી દ્વારા સમાજમાં ટીબી અંગે સકારાત્મક સંદેશ પહોંચ્યો અને લોકોમાં જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે.
