ભરૂચ:
આવતી રામનવમીના પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલિંગ યોજીને શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ ફ્લેગ માર્ચ સી.કે. પટેલ ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગ માર્ચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાંથી પ્રારંભ થઈ લલ્લુભાઈ ચકલા, હાજીખાના, ઊંડાઈ અને ધોળીકુઈ જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ કસક ગરનાળા સુધી પહોંચ્યો હતો.
ખાસ કરીને રામનવમીની શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર પોલીસ દ્વારા વિશેષ ચકાસણી અને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. માર્ગ દરમિયાન સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધી શાંતિ જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી, જેથી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
ફ્લેગ માર્ચમાં આર.એમ. વસાવા, ડી.એ. ક્રિશ્ચિયન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે વિવિધ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવી, સીસીટીવી મોનિટરિંગ અને પેટ્રોલિંગને વધુ સક્રિય બનાવ્યું છે.
પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસના આ સજાગ અને સુવ્યવસ્થિત પ્રયાસોથી ભરૂચ શહેરમાં રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
