ભરૂચ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દેરોલ ગામ નજીક થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક ક્લિનરનું મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પીડિત ટ્રક ડ્રાઈવરની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી રણજીતકુમાર સંતલાલ પાસવાન (ઉં.વ.૨૮), મૂળ ઉત્તર પ્રદેશના નિવાસી અને હાલ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી ટ્રક નં. GJ-14-W-2881 પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
તેમણે આપેલી વિગતો મુજબ, 24 માર્ચના રોજ દહેજથી PVC પાઉડર ભરેલી ટ્રક લઈને માલનપુર (મધ્ય પ્રદેશ) જવાના હતા. રાત્રે ભેંસલી ગામ નજીક આરામ કર્યા બાદ બીજા દિવસે વહેલી સવારે મુસાફરી શરૂ કરી હતી.
સવારના આશરે 6:45 વાગ્યે દેરોલ ગામ નજીક ટ્રકના એન્જિનમાં ખામી જણાતા તેમણે ટ્રકને એક્સપ્રેસ હાઈવેની ઈમરજન્સી લેનમાં પાર્ક કરી પાર્કિંગ લાઈટ ચાલુ કરી હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રક નં. RJ-19-GH-2144 ના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક ટ્રક હંકારી તેમની ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.
અકસ્મતમાં બંને ટ્રકોને ભારે નુકસાન થયું હતું. સાથે જ ટ્રક RJ-19-GH-2144 ના ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક હાઈવે હેલ્પલાઈન 1033 પર જાણ કરતા એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ક્લિનરનું મોત નિપજ્યું હતું.
આ બનાવને લઈને ફરિયાદીના આધારે પોલીસે ટ્રક RJ-19-GH-2144 ના ડ્રાઈવર વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત બાદ હાઈવે પર વાહનચાલકોને સાવચેત રહી અને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
