। ભરૂચ ।
ભરૂચની ભોળી રેલવે પોલીસને વધુ એકવાર બુટલેગરે છેતરી ગયો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. રેલવે પોલીસે ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર અજમેર સુપરફાસ્ટમાંથી ઉતરેલાં શખ્સ પાસેથી બિયરોના ટીન જપ્ત કર્યાં હતાં. બુટલેગર નવસારીનો હોવા છતાં તે દમણથી પોતાના પિવા માટે લાવ્યો હોવાની તેની કેફિયતને ગ્રાહ્ય રાખી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ રેલવે પોલીસની ટીમ પ્લેટફોર્મ નંબર ૩ પર નાઈટ ડયુટી પર હતી. તે વેળાં અજમેર સુપર ફાસ્ટ ટ્રેન ૩ નંબરના પ્લેટફોર્મ પર ઉભી રહેતાં તેમાંથી એક ઉતરેલો એક શખ્સ દુધિયા કલરની થેલી લઈને ઉતાવળો ચાલતો હોઈ ટીમે તેને ઝડપી પાડયો હતો. પ્રાથમિક શંકાને લઈને ટીમે તેને રોકી તપાસ કરતાં તેની પાસે થેલીમાં બિયરના ૬ ટીન મળી આવ્યાં હતાં. પોલીસે તેની પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, તેનું નામ સરફરાજ અબ્દુલકાદીર શેખ(રહે, ખેરગામ, તા. ચિખલી જિ. નવસારી છે. તેણે દમણથી તેના પોતાના પિવા માટે બિયર લાવ્યો હોવાની કબુલાત તેણે કરી હતી. જોકે, તે દમણથી બિયર ખરીદી કર્યા બાદ સીધેસીધો નવસારી ન જઈ ભરૂચ કેમ આવ્યો તે સહિતના પ્રશ્નો રેલવે પોલીસને કેમ ન થયાં તે અંગે તર્કવિતર્ક સર્જાઇ રહ્યાં છે.
ઉલ્લેખનિય છે કે, નવસારી-વલસાડ તેમજ વાપીના કેટલાંય બુટલેગરો વિદેશીદારુની ખેપ મારી ભરૂચના બુટલેગરોને સપ્લાય આપે છે. જેમાં ભરૂચના કુખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડીયા સહિતના કેટલાય બુટલેગરોએ તેમની પ્રાથમિક કબુલાતમાં જણાવ્યું છે. ત્યારે રેલવે પોલીસ રેલવેમાં ખેપ મારતાં નવસારી-વલસાડ તેમજ વાપી તરફના અનેક ખેપિયાઓએ આજ પ્રકારે પોતાના પિવા માટે દારુ લાવ્યાની કેફિયત રજૂ કરે ત્યારે તેને શંકાસ્પદરીતે સ્વિકારી લે છે. જેના કારણે બુટલેગરો માટે દારૂની હેરાફેરી માટે રેલવે માર્ગ કેમ વધુ પસંદ કરવામાં આવે તે અંગેની સ્પષ્ટતા થતી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
