ભરૂચ : શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં ગત મધરાત્રિ બાદ ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો મંદિરમાં ઘૂસી લાખો રૂપિયાના ધાર્મિક આભૂષણો ચોરી ફરાર થઈ ગયા હતા, જેના કારણે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
માહિતી મુજબ તસ્કરો શિવલિંગ પરનું ચાંદીનું છત્ર, ચાંદીનો નાગ તેમજ ભગવાનની પ્રતિમાઓ પરના અન્ય કિંમતી આભૂષણો ચોરી લઈ ગયા હતા. ચોરી કર્યા બાદ તસ્કરો અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
સવારે નિયમિત પૂજા માટે આવેલા પૂજારી નૈનેષ જોષીએ મંદિરના દરવાજા ખોલતા ચોરીની ઘટના બહાર આવી હતી. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ મંદિરેથી અંદાજે રૂપિયા ૩ થી ૪ લાખની કિંમતની સામગ્રી ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે મંદિર તથા આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે અને નજીકમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસી રહી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદ લેવાઈ શકે છે.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની માંગ ઉઠી રહી છે. પોલીસ તસ્કરો સુધી પહોંચવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
