ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં તૈયારીઓ ઝડપી બનાવવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે પ્રદેશ સ્તરના નિરીક્ષકો દ્વારા “સેન્સ” લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા જિલ્લા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભરૂચની એક ખાનગી હોટલમાં યોજાયેલી આ પ્રક્રિયામાં પ્રદેશ નિરીક્ષકોની ટીમે કાર્યકર્તાઓ અને ટિકિટના દાવેદારો સાથે સીધી મુલાકાત કરી તેમના અભિપ્રાય જાણી રહ્યા છે. આ ટીમમાં પૂર્વ પ્રદેશ મંત્રી ડૉ. જીવરાજ ચૌહાણ, ગુજરાત ભાજપના આઈટી સેલ કન્વીનર નિખિલ પટેલ તેમજ પ્રદેશ કારોબારી સભ્ય પ્રતિમા પરમારનો સમાવેશ થાય છે.
આ પ્રક્રિયા જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત તેમજ ચાર નગરપાલિકાની ચૂંટણીઓ માટે ઉમેદવારો નક્કી કરવા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની અંદાજે ૧૬ બેઠકો માટે દાવેદારો પાસેથી અરજીઓ અને બાયોડેટા સ્વીકારવામાં આવી રહ્યા છે. દરેક દાવેદારને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવી રહી છે.
પ્રદેશ નિરીક્ષક ડૉ. જીવરાજ ચૌહાણે જણાવ્યું હતું કે ઉમેદવાર પસંદગીમાં પક્ષ પ્રત્યેની નિષ્ઠા, વિચારધારા સાથેનો લગાવ અને સંગઠન પ્રત્યેની સતત કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે લાંબા સમયથી જોડાયેલા કાર્યકર્તાઓ સાથે નવા ચહેરાઓને પણ તક આપવામાં આવશે. અન્ય પક્ષમાંથી જોડાયેલા કાર્યકર્તાઓ અંગેનો અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કરશે.
જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ સેન્સ પ્રક્રિયા ભરૂચ અને અંકલેશ્વર ખાતે બે દિવસ સુધી ચાલશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજરી આપી રહ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયાને કારણે ભરૂચ જિલ્લામાં રાજકીય હલચલ તેજ બની છે. ગરમીના માહોલ વચ્ચે પણ કાર્યકર્તાઓ અને દાવેદારોનો ઉમળકો જોવા મળતા સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ સંગઠન પૂર્ણ રીતે સક્રિય બન્યું છે.
