વાંકલ :: સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માંગરોળ ગામની સીમમાં આવેલ સુપ્રસિધ્ધ જલેબીવાળા હનુમાનદાદાના મંદિરે જન્મોત્સવ નિમિતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે.મોટી સંખ્યામાં દૂર-દૂરથી લોકો મંદિરે દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે તેમજ કેટલાક ભક્તો પદયાત્રા કરીને દાદાના દર્શન કરવા માટે અહી પહોંચે છે અને જલેબીનો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામના માંગતા હોય છે જે પૂરી પણ થાય છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ જલેબી હનુમાન દાદાના મંદિરે સવારથી જ મંદિરે દાદાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા દૂર દૂરથી પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે ભક્તો અહીં આવે છે.આ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે જેથી જલેબીવાળા હનુમાન દાદાનું મંદિર ખૂબ પ્રસિદ્ધ મંદિર છે.ગાયકવાડ શાસનમાં માંગરોળ ગામ વાંધરી માંગરોળથી ઓળખાતું હતું.જેથી ગામ ખૂબ પ્રખ્યાત હતું.હાલ મોટામિયા માંગરોળ તરીકે ઓળખાતું ગામ હવે જલેબી હનુમાન તરીકે પોતાનું આગવી ઓળખ ઊભી કરી છે.માંગરોળ ખાતે રહેતા હિરેનભાઈ કાંતિભાઈ પાઠક જેમના પૂર્વજોના સપનામાં આવ્યું હતું કે હું અહીં વસવાટ કરું છું.પોતાના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી સાથે રત્નેશ્વર મહાદેવનાં 2 શિવલિંગ પણ પ્રગટ થયા હતા.
ગ્રામજનો દ્વારા આ મૂર્તિને માંગરોળ ગામની સીમમાં તેમની સ્થાપના કરવામાં આવી હતી.વર્ષ 1990માં આ જગ્યા પર ખેતરમાં હિરેનભાઈ પાઠક અને સ્વર્ગસ્થ જેમીનભાઈ પટેલ દ્વારા ભૂખી નદીના કિનારા પર ખેતરની જગ્યામાં સેઢા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દીવાલો બનાવવાનું બાંધકામ શરૂ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરંતુ કુદરતી રીતે મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર તૂટી જતી હતી જેથી મંદિરની છત ૨-૩ વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાય ન હતી.જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને મને શનિ શિંગણાપુર દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે.જેથી હનુમાન દાદા મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા.
આ ખેતરમાં લીમડાનું એક મોટું ઘટાદાર વૃક્ષ નીચે જ તેમને બિરાજમાન કરવામાં આવ્યા અને હાલ લીમડાના વૃક્ષની નીચે દાદા બિરાજમાન થયેલા છે.જેથી તેમનું ઘણા વર્ષો પહેલા લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવ્યું હતું.દાદાની બાજુમાં જ રત્નેશ્વર મહાદેવના શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી હતી.હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બીલીપત્રના ઝાડ નીચે છે.સામાન્ય રીતે બીલીપત્રનું ઝાડ કાંટાવાળું હોય છે પરંતુ અહી કાંટા વગરનું બીલીપત્રનું ઝાડ આવેલું છે.ઘણા વર્ષોથી દાદાના મંદિરે આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો.જેથી સમય જતા દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબીવાળા હનુમાનજીદાદાનું નામ પડી ગયું .જે હાલ પણ જલેબીવાળા હનુમાન દાદાના નામથી મંદિર ખૂબ પ્રચલિત થયું છે. મંદિરમાં દૂર દૂરથી ભક્તો આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની માનતા રાખી મનોકામના પૂર્ણ કરે છે.ભક્તો શ્રદ્ધાપૂર્વક ત્રણ પાંચ કે 11 શનિવારની માનતા રાખી ભક્તોની માનતા પણ પૂર્ણ થાય છે.આજુબાજુના તેમજ બહારના રાજ્યોના પણ ભક્તો દર્શન કરવા માટે અહિયાં આવતા હોય છે. જલેબીવાળા હનુમાનદાદાનાં દર શનિવારે 10હજારથી વધુ દર્શનાથીઓ આવે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે.મંદિરના આયોજકો દ્વારા 4 વર્ષથી ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં 3 થી 4 હજાર ભક્તો ભંડારામાં પ્રસાદીનો લાભ લે છે.
જલેબી હનુમાનદાદા પર લોકોને એટલી શ્રદ્ધા છે કે વિદેશ જવા વિઝા ન મળતા હોય તો તેઓ પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા આવતા હોય છે અને પાસપોર્ટ દાદાની મૂર્તિને સ્પર્શ કરાવવાથી વિઝાની માટે એપ્લાય કરતા તરત વિઝા મળી જતા હોય છે.જે ભક્તને સંતાન પ્રાપ્તિ થતી હોય તેઓ પણ દાદાની માનતા રાખતા હોય છે અને તેમની દાદા મનોકામના પૂર્ણ કરતા હોય છે. લોકોને જલેબી વાલા હનુંમાનદાદા પર એટલી શ્રદ્ધા હોય છે કે જે માનતા માંગે છે એ માનતા રાખવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
