બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર આવેલ જવાળામુખી માતાજી મંદિરમાં 18મા પાટોત્સવ (સાલગીરી મહોત્સવ)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
ચૈત્ર સુદ આઠમના દિવસે મંદિરમાં હોમ-હવનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે ચૈત્ર સુદ તેરસના દિવસે (31 માર્ચ) પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મૈસુરીયા/ભાટિયા સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ હાજર રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
ઉત્સવ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા સંસ્થા તેમજ રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા અને સમાજ માટે યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું.
કાર્યક્રમમાં જયંતિભાઈ મૈસુરીયા, ધર્મિષ્ઠાબેન મૈસુરીયા (બાબેન), ખુશ્બુ પટેલ તેમજ ડૉ. મનીષ પટેલ (USA) જેવા દાતાઓના સહયોગથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
અંતે મૈસુરીયા સમાજના ટ્રસ્ટીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ જ્ઞાતિબંધુઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
