ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાણીની અછત ધરાવતા વિસ્તારોના ખેડૂતો માટે મહત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ પોતાના ખેતરમાં સ્વખર્ચે બનાવેલી ખેત તલાવડીઓમાં સરકાર પોતાના ખર્ચે જીઓમેમ્બ્રેન ફિટ કરીને આપશે.
આ યોજનાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનો સંગ્રહ કરીને રવિ પાક માટે સિંચાઈ સુલભ બનાવવાનો છે, જેથી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી આર્થિક રીતે સશક્ત બની શકે. સાથે જ આ પ્રયાસથી ભૂગર્ભ જળસ્તર જાળવવામાં પણ મદદ મળશે.
ચાલુ વર્ષ માટે યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા તા. 30 માર્ચ 2026 થી 15 મે 2026 સુધી ખુલ્લી રહેશે. ખેડૂતોને https://g-talavadi.gujarat.gov.in
વેબસાઇટ પર અરજી કરવી પડશે. અરજીની ચકાસણી બાદ લાભાર્થીઓની પસંદગી ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે અને પસંદ થયેલા ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવશે.
યોજનાના નિયમો અનુસાર ખેત તલાવડીની મહત્તમ સાઈઝ 40 મીટર x 40 મીટર અને ઊંડાઈ 6 મીટર (1.5:1 ઢાળ સાથે) નક્કી કરવામાં આવી છે. સરકાર દ્વારા મહત્તમ 2460 ચો.મીટર સુધી જીઓમેમ્બ્રેન ફિટ કરવામાં આવશે. જો આ મર્યાદા કરતાં વધુ વિસ્તાર થશે તો વધારાનો ખર્ચ ખેડૂતે પોતે ઉઠાવવાનો રહેશે.
ખેત તલાવડીમાં પાણી સંગ્રહ અને જીઓમેમ્બ્રેનની જાળવણીની સંપૂર્ણ જવાબદારી ખેડૂતની રહેશે. ઓનલાઇન અરજી માટે ખેડૂતોએ પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, આધાર કાર્ડની નકલ, 7/12 અને 8-A ના ઉતારા તેમજ તલાવડીના ખોદકામ અને જાળવણી અંગેનું બાંહેધરી પત્રક સહિત જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
વધુ માહિતી માટે વિભાગની સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.
આ માહિતી કાર્યપાલક ઇજનેર, મધ્યમ સિંચાઇ યોજના વિભાગ, અંકલેશ્વર દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદીમાં આપવામાં આવી છે.
