ભરૂચ શહેરના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ પર આવેલ શિતળા માતાના મંદિરે ચૈત્ર સુદ પુનમ નિમિત્તે ધૂળધોયા સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
ઉજવણીના ભાગરૂપે ગત રોજ માતાજીનો ભવ્ય વરઘોડો શહેરના મુખ્ય માર્ગો પરથી ધામધૂમ સાથે કાઢવામાં આવ્યો હતો. વરઘોડામાં સમાજના સ્ત્રી-પુરુષો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તોએ માતાજીના જયઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો, જ્યારે પરંપરાગત વાદ્યો અને ધાર્મિક ગીતો સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આજે ચૈત્ર પૂર્ણિમાના દિવસે મંદિરે ભંડારાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના લોકો ઉપરાંત અન્ય ભક્તોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી પ્રસાદીનો લાભ લીધો હતો. ભંડારામાં સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાળુઓને સુવ્યવસ્થિત રીતે પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશેષ નોંધનીય બાબત એ રહી કે, અન્ય રાજ્યોમાં ધંધા-રોજગારી માટે સ્થાયી થયેલા ધૂળધોયા સમાજના લોકો પણ આ પ્રસંગે પોતાના વતન પરત ફર્યા હતા. જેના કારણે ઉજવણીમાં વિશેષ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, પરંપરા અને ધાર્મિક શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો. દર વર્ષે યોજાતી આ ઉજવણી ધૂળધોયા સમાજ માટે આસ્થા અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતિક બની રહી છે.
