નર્મદા જિલ્લા સેસન્સ કોર્ટમાં ચાલતા ગંભીર હત્યા કેસમાં સેસન્સ જજશ્રી આર. ટી. પંચાલ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. સરકારી વકીલ વંદના ભટ્ટની મજબૂત અને તર્કસભર દલીલોને આધારે કોર્ટે આરોપીને દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, શાણીપુર ગામના રહેવાસી આરોપી રામસિંહભાઈ પોપટભાઈ પાદવી પોતાના ઘરમાં વારંવાર પત્ની અરૂણાબેન સાથે ઝઘડો કરતા હતા. ઘટનાના દિવસે રાત્રિના સમયે ઘરમાંથી મારામારીનો અવાજ આવતા ફરિયાદી ગણેશભાઈ રામસિંહભાઈ પાદવી અને પરિવારના સભ્યો જાગી ગયા હતા.
તેમણે જઈને જોયું તો આરોપી પોતાની પત્ની અરૂણાબેનને લોખંડના સાધન વડે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતો હતો. વચ્ચે પડી બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અરૂણાબેનને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ દરમિયાન આંખે જોનાર સાક્ષીઓ, તબીબી પુરાવા, સ્થળ પંચનામું, હથિયારની જપ્તી અને સાક્ષીઓના નિવેદનો સહિતના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા.
કોર્ટમાં સરકારી વકીલ વંદના ભટ્ટ દ્વારા આ તમામ પુરાવાઓના આધારે અસરકારક રીતે દલીલો રજૂ કરવામાં આવી હતી, જેના આધારે આરોપી દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું સાબિત થયું હતું.
સેસન્સ જજશ્રી આર. ટી. પંચાલે સમગ્ર પુરાવા અને સાક્ષીઓના નિવેદનોનું મૂલ્યાંકન કરીને આરોપીને ભારતીય દંડ સંહિતા કલમ 302 હેઠળ દોષિત ઠરાવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ન ભરાય તો વધારાની સાદી કેદની સજા પણ નિર્ધારિત કરવામાં આવી છે.
આ ચુકાદો કાનૂની વર્તુળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને સરકારી વકીલ વંદના ભટ્ટની ધારદાર રજૂઆતની પ્રશંસા કરવામાં આવી રહી છે.
