26 એપ્રિલે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી
નબીપુરમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે મતદાન અંગે જાગૃતિ અભિયાન
ભરૂચ :
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1લી એપ્રિલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાઓ માટે આવતી 26 એપ્રિલે મતદાન યોજાશે.
ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા વિવિધ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા કે. રાઓલને સ્વેપ (SVEEP) નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ અંતર્ગત મતદાન જાગૃતિ માટે નબીપુર ગામમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નબીપુર જાહેર હાઈસ્કૂલ, કુમારશાળા અને કન્યાશાળાના આચાર્ય તેમજ શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓ સાથે મળીને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. દિવ્યેશ પરમાર દ્વારા મતદાન પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે મતદાનના મહત્ત્વને સમજાવતા સૌને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા પ્રેરિત કર્યા હતા.
આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા જિલ્લામાં વધુમાં વધુ મતદાન નોંધાય તે માટે તંત્ર સક્રિય બન્યું છે.
