વાંકલ :
ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામે જમીન વહેંચણીના મુદ્દે પરિવારજનો વચ્ચેનો વિવાદ ઉગ્ર બનતા મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ અંગે પીડિત દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઉમરપાડાના બલાલકુવા ગામના વચલા ફળિયામાં રહેતા બિજેન્દ્ર અરવિંદભાઈ વસાવાએ પરિવારની સહિયારી જમીન વહેંચણી બાબતે ઉમરપાડા પોલીસ મથકે અરજી કરી હતી. આ અરજીના કારણે અદાવત રાખી મનહર અનવર વસાવાએ હાથમાં રહેલી લાકડી વડે બિજેન્દ્ર વસાવા પર હુમલો કર્યો હતો.
આ દરમિયાન નિકુંજભાઈ મહેશભાઈ વસાવા (મોટરસાયકલ નં. GJ 16 BL 6374 સાથે સ્થળ પર આવેલ) પણ ઉશ્કેરાઈ જઈ અશ્લીલ ગાળો આપી બિજેન્દ્ર વસાવાના માથા અને હાથ પર લાકડીના ફટકા માર્યા હતા તેમજ પીઠના ભાગે ત્રણથી ચાર ઘા કર્યા હતા. ઉપરાંત, કુંતાબેનને પણ ગાળો આપી ધક્કામુક્કી કરાઈ હોવાની માહિતી સામે આવી છે.
આ બનાવ દરમિયાન નિકુંજભાઈ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને બિજેન્દ્ર વસાવાએ સંબંધિત લોકો વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
