ભરૂચ શહેરના રાજકારણમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. પ્રયોશા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક અને ભાજપના સક્રિય કાર્યકર જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટે વોર્ડ નંબર 8 માટે ટિકિટ ન મળતા જિલ્લા પ્રમુખને પોતાનું રાજીનામું સોંપતા રાજકીય માહોલ ગરમાયો છે.
છેલ્લા બે દાયકાથી ભાજપ સાથે સંકળાયેલા રહી સેવા આપનાર જીગ્નેશભાઈને ટિકિટ ન મળતા તેમના સમર્થકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. સામાજિક કાર્યકર તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર જીગ્નેશભાઈ વિસ્તારમાં લોકપ્રિયતા ધરાવે છે, જેના કારણે હિંદુ, મુસ્લિમ અને આદિવાસી મતદારોમાં પણ ભાજપ પ્રત્યે નારાજગી ફેલાઈ છે.
આ ઘટનાને પગલે 100થી વધુ સમર્થકો જીગ્નેશભાઈને મળવા પહોંચી પોતાના અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમને અપક્ષ અથવા અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવા પ્રોત્સાહિત કર્યા હતા. સમર્થકોએ તેમને જીતાડવાનો દૃઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળે છે.
રાજકીય પરિસ્થિતિને જોતા, જો જીગ્નેશભાઈ સ્વતંત્ર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરે છે, તો વોર્ડ નંબર 8માં ભાજપ માટે આવનારા દિવસોમાં પડકારજનક સ્થિતિ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
