50થી વધુ લોકોએ જોડાઇ 20 મણ લોટથી કીડીયારું પુરવાનું ધાર્મિક કાર્ય કર્યું
વાંકલ :
માંગરોળ તાલુકાના બણભા ડુંગર ખાતે પવિત્ર ચૈત્ર માસ દરમિયાન બાપા સીતારામ ગ્રુપ, સુરત દ્વારા જીવદયા અને ધાર્મિક ભાવનાથી પ્રેરિત એક અનોખું સેવા કાર્ય હાથ ધરાયું હતું. ગ્રુપ દ્વારા કીડીને અન્ન પૂરવાના ભાગરૂપે વિશાળ પ્રમાણમાં કીડીયારું પૂરવામાં આવ્યું હતું.
હિન્દુ ધર્મમાં કીડીયારું પૂરવાનું પુણ્યકારક કાર્ય માનવામાં આવે છે. માન્યતા મુજબ કીડીયારમાં અનેક સૂક્ષ્મ જીવજંતુઓ વસવાટ કરતા હોય છે, જેને અન્ન આપવાથી જીવદયા થાય છે, પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ ઘરમાં સમૃદ્ધિ વધે છે અને પાપોનું ક્ષય થાય છે.
બાપા સીતારામ ગ્રુપમાં 50થી વધુ સભ્યો જોડાયેલા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ ઉત્સાહભેર સહભાગ રહ્યો હતો. ગ્રુપ દ્વારા ગોળ, ખાંડ, તેલ અને ઘઉંના લોટને મિક્સ કરીને આશરે 20 મણ જેટલું કીડીયારું પૂરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. આ સામગ્રીને 51,151 કોથળીઓમાં ભરી વિવિધ સ્થળોએ કીડીયારું પૂરવામાં આવ્યું હતું.
આ સેવા નર્મદા કાંઠે, ગાયપગલાં, તડકેશ્વર મહાદેવ, નીલકંઠધામ અને બણભા ડુંગર જેવા પવિત્ર સ્થળોએ કરવામાં આવી હતી. આ કાર્યથી અનેક જીવજંતુઓને આહાર મળ્યો અને ધાર્મિક રીતે પણ આ સેવા ખૂબ શુભ માનવામાં આવી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ બાલુભાઈ વઘાસીયા, શાંતિલાલ લક્ષ્મણભાઈ સરવૈયા સહિત બાપા સીતારામ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યને સ્થાનિક લોકો દ્વારા સરાહનીય ગણાવવામાં આવ્યું હતું.
