પોલીસ તંત્ર સામે AAPની પત્રકાર પરિષદ : આપના આક્ષેપોથી રાજકારણમાં ગરમાવો
ભરૂચ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)એ ભરૂચ પોલીસ તંત્ર પર ગંભીર અને તીખા આક્ષેપો કરી રાજકીય માહોલ વધુ ગરમાવ્યો છે. પક્ષે પત્રકાર પરિષદ યોજી આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા તેમના ઉમેદવારો, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને ટાર્ગેટ કરીને ખોટી રીતે ધમકાવી અને હેરાન કરવામાં આવી રહ્યા છે.
AAPના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં લોકશાહી પદ્ધતિથી પ્રચાર ચાલી રહ્યો છે, છતાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ તંત્ર એકતરફી વલણ અપનાવી રહ્યું છે. તેમણે આરોપ મૂક્યો કે વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા AAPના ઉમેદવારો અને કાર્યકર્તાઓને બિનજરૂરી રીતે બોલાવી દબાણ કરવામાં આવી રહ્યું છે, જે લોકશાહી માટે ગંભીર ચિંતા નો વિષય છે.
પિયુષ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, દરેક રાજકીય પક્ષને સમાન અધિકાર છે, પરંતુ ભરૂચમાં પોલીસ તંત્રનું વર્તન પક્ષપાતી દેખાઈ રહ્યું છે. જો આ રીતે દબાણ કરાશે તો તે લોકશાહી મૂલ્યોને ખંડિત કરશે.
AAPના લોકસભા પ્રમુખ યાકુબ ગુરજીએ પણ આ મુદ્દે કડક વલણ અપનાવતાં જણાવ્યું કે તેઓ જિલ્લા પોલીસ અધિક્ષકને મળવા ગયા હતા, પરંતુ રવિવાર હોવાને કારણે મુલાકાત શક્ય બની નહોતી. તેમણે ચેતવણી આપી કે સોમવારે ફરી SPને મળી આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
AAPએ માંગણી કરી છે કે જિલ્લા પોલીસ વડા તાત્કાલિક હસ્તક્ષેપ કરી તમામ પોલીસ મથકોને કડક સૂચના આપે અને પક્ષના ઉમેદવારો તથા કાર્યકર્તાઓ સાથે થતી હેરાનગતિ તાત્કાલિક બંધ કરાવે. સાથે જ, ખોટા કેસ નોંધાયા હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
