કોંગ્રેસમાં સંકલનનો અભાવ, આંતરિક દખા ચૂંટણીમાં ભારે પડી શકે
ભરૂચ :
ભરૂચ નગરપાલિકાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસમાં આંતરિક ગોટાળો સપાટી પર આવ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર-2માં મેન્ડેટ મુદ્દે થયેલી ગડબડને કારણે કેટલાક ઉમેદવારોના ફોર્મ રદ થવાની શક્યતાઓ વ્યક્ત થવા લાગી છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાઈ છે.
માહિતી અનુસાર કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી દરમિયાન શહેર પ્રમુખ સલીમ અમદાવાદી દ્વારા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાળાના નામ કાપી અન્ય ઉમેદવારોને મેદાનમાં ઉતારતા વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ ઉપરના મોવડી મંડળે હસ્તક્ષેપ કરીને સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાળાને સત્તાવાર મેન્ડેટ આપ્યો હતો અને અગાઉ આપેલાં મેન્ડેટ રદ કરવાનો પત્ર પણ જારી કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વહીવટી તંત્રએ આ ઉમેદવારોના ફોર્મ કોંગ્રેસના તરીકે માન્ય રાખ્યા છે.
બીજી તરફ, શહેર પ્રમુખ દ્વારા કેટલાક ઉમેદવારોને મેન્ડેટ આપવામાં ચૂક કે ગડબડ થતાં તેમના ફોર્મ રદ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમે કોંગ્રેસમાં સંકલનના અભાવને ઉજાગર કર્યો છે. ઉમેદવારી નોંધણી પૂર્ણ થયા બાદ પણ કોંગ્રેસ પોતાની સત્તાવાર ઉમેદવાર યાદી જાહેર કરી શકી નથી, જે પક્ષની કાર્યશૈલી પર સવાલ ઊભા કરે છે.
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસના આંતરિક મતભેદ અને ગોઠવણોના કારણે AIMIMને ફાયદો થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. સ્થાનિક નેતાગીરી દ્વારા પક્ષ હિત કરતાં વ્યક્તિગત વલણને પ્રાથમિકતા આપતા આખો વિવાદ ઊભો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર પરિસ્થિતિને જોતા કોંગ્રેસને હરાવવા ભાજપને ખાસ મહેનત કરવાની જરૂર નહીં પડે અને આંતરિક કલહ જ કોંગ્રેસને નુકસાન પહોંચાડશે તેવી ચર્ચાઓ તેજ બની છે.
