તારીખ 14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલા દારૂગોળા તથા અતિ જ્વલનશીલ સામગ્રી સાથે ભરાયેલા બ્રિટીશ માલવાહક જહાજ એસ. એસ. ફોર્ટ સ્ટાઈકીન માં ભયંકર વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આ ભયાનક ઘટનામાં આગ પર કાબૂ મેળવવા દરમ્યાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સુરક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વગર શૌર્યપૂર્વક કાર્ય કરતા શહાદત વ્હોરી હતી. આ દુર્ઘટનામાં 300થી વધુ લોકોના પણ મૃત્યુ નિપજ્યા હતા.
કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ દરમિયાન લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાનું જીવન અર્પણ કરનાર નામી-અનામી અગ્નિશમન કર્મચારીઓની યાદમાં ભારત સરકારના નિર્દેશ અનુસાર દર વર્ષે 14મી એપ્રિલે “અગ્નિશમન સેવા દિન” તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે આજે ભરૂચ જિલ્લામાં પણ અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ફાયર બ્રિગેડના વાહનો સાથે શ્રદ્ધાંજલિ રેલી કાઢવામાં આવી હતી તેમજ કચેરી ખાતે 2 મિનિટનું મૌન પાળી વીર શહીદોને નમન કરવામાં આવ્યા હતા.
