સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. શુકલતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વાગરા તાલુકાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
ઇન્દ્રસિંહ પરમારના જણાવ્યા મુજબ ધારાસભ્ય દ્વારા તેમના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને ટેલીફોનિક રીતે તેમજ પોતાના અંગત લોકો મારફતે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ધારાસભ્યના નજીકના લોકો ઉમેદવારોના ઘરે જઈ સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ કારણે છેલ્લા ચાર દિવસથી નીકોરા અને ઝનોર વિસ્તારના ઉમેદવારો પોતાના ઘરે અથવા મત વિસ્તારમાં રહી શકતા નથી તેમજ મતદાતાઓ સાથે સંપર્ક સાધવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આક્ષેપોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. જોકે આ મામલે ધારાસભ્ય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.
