ભરૂચ શહેરમાં ચોરીના બનાવોમાં વધારો થતો જણાઈ રહ્યો છે. ભરૂચ ખાતે જીની મામલતદાર કચેરી સામે આવેલી શિવકૃપા સોસાયટીમાં નકુચા તોડી ચોરીનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શિવકૃપા સોસાયટીમાં રહેતા સુનિલ ઝોરાવીયા, જે વૃંદાવન ઇન્ફ્રામાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે, તેઓ ગત 12 એપ્રિલની રાત્રે તેમના ઘરના નીચેના માળને બંધ કરી પરિવાર સાથે ઉપરના માળે સુવા ગયા હતા.
સવારે મળસ્કે જાગતાં તેઓએ જોયું કે ઉપરનો દરવાજો બહારથી બંધ હતો. પુત્રને જાણ કરતા દરવાજો ખોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પિતા-પુત્ર નીચે ઉતરી તપાસ કરતાં નીચેના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો અને દરવાજો ખુલ્લો હતો.
તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી રસોડામાં મુકેલ તિજોરીના લોકર તોડી અંદર રહેલ સોનાના દાગીના — મંગળસૂત્ર, ચેઇન અને બુટ્ટી — મળી કુલ અંદાજે ₹2.20 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તસ્કરોને ઝડપવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
