ભરૂચ શહેરમાં આવેલ 500 વર્ષ જૂના પવિત્ર શ્રી પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે 18મી એપ્રિલના રોજ પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
મંદિર પ્રાચીન ધાર્મિક સ્થાન તરીકે ઓળખાય છે અને નર્મદા નદી કિનારે આવેલ આ સ્થાનને વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. નર્મદા પુરાણમાં અધ્યાય 105:માં પીંગલાવર્ત તીર્થ તરીકે આનો ઉલ્લેખ કર્યો છે. આ મંદિરમાં જે વાવ આવેલી તેમાં અંદરથી ઉપર સુધી 20 ફૂટ ઉંચુ શિવલીંગ આવેલું છે. માન્યતા મુજબ અહીં દર્શન અને પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ મળે છે.
પાટોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે શિવ પૂજન, સાંજે મહા આરતી તથા મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને ભક્તો માટે રાત્રે ભજન અને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જેમાં સવારે 8 થી 12 વાગ્યા સુધી શિવ પૂજન, સાંજે 7 વાગ્યે મહા આરતી, સાંજે 7:30 વાગ્યે મહાપ્રસાદ, રાત્રે 9 થી 12 સુધી ઉભુ ભજનનું આયોજન કરાયું છે.
મંદિર ટ્રસ્ટ અને આયોજકોએ જણાવ્યું હતું કે પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહે તેવી શક્યતા હોવાથી તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ કાર્યક્રમનું આયોજન દાંડિયાબજાર, દશાશ્વમેઘ ઘાટ રોડ નજીક આવેલ મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તોને સુવિધાજનક રીતે દર્શન અને પ્રસાદની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.
