વહીવટી તંત્ર સજ્જ, નાગરિકોને સતર્ક રહી બાળલગ્ન અટકાવવા અપીલ
ભરૂચ જિલ્લામાં આવનારી અખાત્રીજ (અક્ષય તૃતીયા) નિમિત્તે બાળલગ્ન જેવી કુપદ્ધતિને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ હેઠળ બાળલગ્ન કરવું કાનૂની ગુનો હોવાનું જણાવી તંત્ર દ્વારા જનજાગૃતિ સાથે કડક ચેતવણી આપવામાં આવી છે.
હિન્દુ પંચાંગ મુજબ તા. ૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ અખાત્રીજના શુભ દિવસે તેમજ અન્ય શુભ મુહૂર્તોમાં જિલ્લામાં મોટી સંખ્યામાં લગ્નો યોજાવાના હોય છે. આ પ્રસંગે ખાસ કરીને બાળલગ્નો ન થાય તેની તકેદારી રાખવા તંત્ર દ્વારા સમૂહ લગ્ન આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, કાજી, રસોઈયા, મંડપ ડેકોરેટર, ફોટોગ્રાફર તેમજ વર-કન્યા પક્ષના પરિવારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
કાયદા મુજબ છોકરીના ૧૮ વર્ષ પહેલાં અને છોકરાના ૨૧ વર્ષ પહેલાં લગ્ન કરાવવું સજાપાત્ર ગુનો છે. બાળલગ્નના કારણે બાળકોના આરોગ્ય અને ભવિષ્ય પર ગંભીર પ્રતિકૂળ અસર પડે છે, જેના કારણે તેને સામાજિક દુષણ માનવામાં આવે છે.
તંત્રએ ચેતવણી આપી છે કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ ગુનો સાબિત થાય તો રૂ. ૧ લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. તેથી દરેક નાગરિકે પોતાની સામાજિક જવાબદારી સમજી પોતાના વિસ્તાર, ગામ કે મહોલ્લામાં આવા બનાવો ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે.
જો ક્યાંય બાળલગ્ન થતું જણાય તો તાત્કાલિક જાણ કરવા માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ભરૂચના ફોન નંબર ૦૨૬૪૨-૨૬૩૮૨૩ અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમના નંબર ૦૨૬૪૨-૨૫૦૩૧૫ પર સંપર્ક કરી શકાય છે. ઉપરાંત તાત્કાલિક સહાય માટે ચાઇલ્ડલાઇન (૧૦૯૮), પોલીસ (૧૦૦) તથા મહિલા અભયમ હેલ્પલાઇન (૧૮૧) પર પણ જાણ કરી શકાય છે.
આ બાબતે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદીમાં નાગરિકોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
