ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ‘સ્વીપ’ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર ખાતે મતદારોમાં જાગૃતિ લાવવા માટે ઈ.એન.જીનવાલા હાઈસ્કૂલ, પિરામણનાકા પરથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીને અંકલેશ્વરના મામલતદાર તથા અન્ય મહાનુભાવોના હસ્તે ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પિરામણનાકાથી શરૂ થયેલી આ બાઇક રેલી અંકલેશ્વરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગરજનોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.
રેલીમાં તાલુકાના શિક્ષકો, નગરજનો તથા વિવિધ વર્ગના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન તાલુકા ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા હાજર રહેલાઓને ૧૦૦ ટકા મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ખાસ કરીને મહિલાઓએ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા અને પોતાના પરિવારજનોને પણ મતદાન કરવા પ્રેરિત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રેલી દરમિયાન શિક્ષકોએ બાઇક પર ‘મતદાન આપણો અધિકાર છે’ અને ‘મારો મત, મારી ઓળખ’ જેવા સૂત્રો સાથેના આકર્ષક પ્લેકાર્ડ્સ અને બેનરો પ્રદર્શિત કરી નાગરિકોને જાગૃત કર્યા હતા.
શિક્ષકોના આ નવતર અને પ્રશંસનીય પ્રયાસને નગરજનો દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. સાથે જ આગામી ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવો સંદેશ વ્યાપક રીતે આપવામાં આવ્યો હતો.
