ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારના રહીશોએ અસામાજિક તત્વોના વધતા આતંક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શાક માર્કેટ વિસ્તારમાં રાત્રિના સમયે યુવાનોના ટોળાં ભેગાં થઈ હુલ્લડ મચાવતા હોવાથી સમગ્ર વિસ્તારમાં અશાંતિનો માહોલ સર્જાયો છે.
માહિતી મુજબ શાક માર્કેટ બંધ થયા બાદ રાત્રિના સમયે કેટલાક ઈસમો ત્યાં ક્રિકેટ રમવાના બહાને ભેગા થાય છે અને મોડી રાત સુધી બુમાબૂમ, ઝઘડા અને ગડબડ કરે છે. ઘણીવાર આ લોકો વચ્ચે મારામારી અને હથિયારો વડે હુમલાની ઘટનાઓ પણ બને છે, જેના કારણે રહીશો ભયભીત બની ગયા છે.
સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આ અસામાજિક તત્વો દારૂ, સિગારેટ અને ગાંજાના નશામાં રહે છે અને જાહેરમાં નશાખોરી પણ કરે છે. મહિલાઓ સાથે અશોભનિય વર્તન, બોલ ફેંકીને ડરાવવું અને પાછળ દોડવા જેવી હરકતોને કારણે મહિલાઓ અને યુવતીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે.
નવરંગ શોપિંગ સેન્ટર બહાર પણ આવી જ સ્થિતિ જોવા મળે છે, જ્યાં રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ધમાલ-મસ્તી કરે છે, જોરથી ગીતો વગાડે છે અને પસાર થનારા લોકોની મશ્કરી કરે છે. રહીશોએ ચોરી તેમજ નાબાલિક દીકરીઓને ભ્રમિત કરી ભગાડી જવાના બનાવોની પણ ગંભીર શંકા વ્યક્ત કરી છે.
આ પરિસ્થિતિને કારણે દાંડિયા બજાર વિસ્તારના રહીશો સતત દહેશતમાં જીવન જીવી રહ્યા છે. તેમણે પોલીસ તંત્ર પાસે માંગણી કરી છે કે વિસ્તારમાં કડક પેટ્રોલિંગ ગોઠવવામાં આવે, રાત્રે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે અને અસામાજિક તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.
રહીશોનું કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં વધુ ગંભીર ઘટનાઓ બનવાની શક્યતા છે.
