નર્મદા ચોકડી બ્રિજ પર અકસ્માત બાદ ઇન્સ્પેક્ટર વાટાલિયાનો માનવતાભર્યો પ્રયાસ
ભરૂચ.
ભરૂચમાં RTO વિભાગ દ્વારા રાત્રિના સમયે ચાલી રહેલા ચેકિંગ દરમિયાન એક માનવતાભર્યો બનાવ સામે આવ્યો છે. ચેકિંગ દરમિયાન ઇન્સ્પેક્ટર વી.વી. વાટાલિયા માર્ગ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને નર્મદા ચોકડી નજીકના બ્રિજ પર અકસ્માત થયાની માહિતી મળી હતી.
માહિતી મળતા જ ઇન્સ્પેક્ટર વાટાલિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં રસ્તા પર પડી રહેલી બાઈકને સાઇડમાં ખસેડી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવી, જેથી અન્ય વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે.
આ સાથે જ ‘ગોલ્ડન અવર’ના મહત્વને ધ્યાનમાં રાખીને તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા માટે કોલ કર્યો હતો. 108ની ટીમ સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. RTO ઇન્સ્પેક્ટર દ્વારા દર્શાવાયેલી સતર્કતા અને માનવતાભર્યા અભિગમને સ્થાનિકોમાં બિરદાવવામાં આવ્યો છે.
