ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે અને ખાસ કરીને ભાજપ દ્વારા વિકાસના મુદ્દે મતદારોને આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, આ જ સમયે શહેરના વોર્ડ નંબર 11માં વિકાસના દાવાઓ પર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે.
જૂના ભરૂચ વિસ્તારમાં થોડા સમય પહેલા જ રસ્તાના પેચવર્ક સહિતના વિકાસ કાર્યો હાથ ધરાયા હતા. પરંતુ આ કામગીરીને બહુ ઓછો સમય વીતી ગયો હોવા છતાં હાથીખાના બજાર સ્થિત પોસ્ટ ઓફિસ પાસે રસ્તામાં મસમોટો ભુવો પડતા સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે. અંદાજે પાંચ ફૂટ જેટલા ઊંડા આ ભુવાને કારણે વાહનચાલકો માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે.
સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે પેચવર્કની કામગીરીમાં ગુણવત્તાનો અભાવ રહ્યો હોઈ શકે છે અને ભ્રષ્ટાચાર પણ આચરાયો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. લોકોના કહેવા મુજબ તાજી કામગીરી હોવા છતાં આ રીતે રસ્તો ધસી પડવો ગંભીર બાબત છે.
ચૂંટણીના આ સંવેદનશીલ સમયમાં આ ઘટના હરીફ પક્ષો માટે મુદ્દો બની ગઈ છે. ભાજપ દ્વારા કરવામાં આવતા વિકાસના દાવાઓ સામે વિરોધીઓએ આ ભુવાને ‘બોલતો પુરાવો’ ગણાવી પ્રચારમાં ઉપયોગ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
આ બનાવને લઈને હવે નગરપાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે અને જવાબદાર સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. ત્યારે સ્થાનિકોમાં સલામતીને ધ્યાનમાં રાખી તાત્કાલિક યોગ્ય મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
