ભરૂચ: શહેરના વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે આગજનીની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે. રાજ્યમાં ચાલી રહેલા ચૂંટણીના સંવેદનશીલ માહોલ વચ્ચે બનેલી આ ઘટનાને લઈને અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, રાત્રિના આશરે 1:45 થી 2:00 વાગ્યાના સમય દરમિયાન વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં પાર્ક કરેલા વાહનોને અજાણ્યા અસામાજિક તત્વોએ નિશાન બનાવી આગ ચાંપી હતી.
આ ઘટનામાં કુલ 4 બાઈક અને 1 રિક્ષા આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયા હતા. આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશો તાત્કાલિક બહાર આવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં વાહનોને ભારે નુકસાન પહોંચી ગયું હતું.
સ્થાનિકોમાં આ બનાવને લઈને ભારે ચિંતા વ્યાપી છે. ચૂંટણીના સમયગાળામાં બનેલી આ ઘટના પાછળ કોઈ ગેંગનો હાથ છે કે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
સ્થાનિક નાગરિકોએ પોલીસ તંત્રને સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક તપાસ આગળ વધારી આરોપીઓને ઝડપથી પકડી પાડવાની અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે તેમજ નાગરિકોને પોતાના વાહનોની સુરક્ષા માટે વધુ સાવચેત રહેવા અપીલ પણ કરી છે.
