ભરૂચ: સારંગપુર ગામની અંજની ધારા સોસાયટી નજીક બાવળની ઝાડીઓમાંથી 43 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ જીઆઇડીસી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મૃતકની ઓળખ જીતાલી વિસ્તારની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા મુન્ના લક્ષ્મણ પાલ તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું બહાર આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને ગંભીરતાથી લઈ પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી તથા શંકાસ્પદ દિશામાં તપાસ આગળ ધપાવી હતી.
તપાસમાં માલુમ પડ્યું હતું કે, મૃતક મુન્ના પાલના શાંતીદેવી મંડળ કે જેઓ એક પાનનો ગલ્લો ચલાવે છે. તેમની સાથે અનૈતિક સંબંધ હતાં. જેથી તેમના જમાઇ ભોલુ માનીક મંડળ અને તેમનો દિકરો કે જે કાયદના સંકળાયેલું બાળક છે તેમણે તેની હત્યા કરી હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળકને જૂવેનાઇલ બોર્ડને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
