વાંકલ:
માંગરોળ તાલુકાના વાંકલ ગામના સ્ટેશન વિસ્તારમાં દિવસદાઢે ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વાંકલના સ્ટેશન વિસ્તારમાં રહેતા મનોજભાઈ છગનભાઈ ચૌધરીના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
મળતી માહિતી મુજબ બપોરે આશરે ૨ વાગ્યાના સુમારે પરિવારના સભ્યો બાજુના ઘરમાં ગયા હતા, તે દરમિયાન તસ્કરો ઘરમાં ઘૂસી તિજોરીના તાળા તોડી નાખ્યા હતા. તિજોરી તોડવાનો અવાજ સંભળાતા મનોજભાઈના પરિવારજનોએ તપાસ કરવા ઘરમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે તસ્કર તેમને જોઈ ફોન પર વાત કરતો કરતો તાત્કાલિક બહાર નીકળી ગયો હતો.
બહાર એક અન્ય શખ્સ બાઈક પર બેઠો રહી ઘરના લોકો પર નજર રાખી રહ્યો હતો. તસ્કરો તિજોરીમાંથી ચાંદીની બંગડીઓ અને ચાંદીના સાંકળા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોમાં ચર્ચા છે કે ચોર ટોળકી ડ્યુક બાઈક પર આવી હતી.
આ બનાવ અંગે મનોજભાઈ ચૌધરીએ વાંકલ આઉટપોસ્ટમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. માંગરોળ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી તસ્કરો સુધી પહોંચીને ગુનાનો ભેદ ઉકેલી શકાય.
