ભરૂચ :
ભરૂચ જિલ્લામાં આવનારી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ભરૂચ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ, કારખાના અધિનિયમ-૧૯૪૮ તેમજ ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ-૨૦૨૦ હેઠળ આવતાં તમામ ઔદ્યોગિક એકમો તથા “બિલ્ડીંગ એન્ડ અદર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ-૧૯૯૬” હેઠળ નોંધાયેલ સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવેતન રજા આપવી ફરજિયાત રહેશે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(બી) મુજબ, કોઈપણ કર્મચારીના પગારમાંથી રજાને કારણે કપાત કરવામાં આવશે નહીં. જો કોઈ કર્મચારી સામાન્ય રીતે તે દિવસે પગાર મેળવવા પાત્ર ન હોય, તો પણ તેને તે દિવસનો વેતન ચૂકવવાનો રહેશે.
જ્યાં કામદારોની ગેરહાજરીથી જોખમ ઊભું થવાનું હોય અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનાઓમાં કાર્ય બંધ થવાથી નુકસાન થવાની શક્યતા હોય, ત્યાં આવા કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન મતદાન માટે ઓછામાં ઓછા ૩ થી ૪ કલાકની સવેતન રજા આપવાની રહેશે.
આ જોગવાઈનું પાલન ન કરનાર કારખાનેદારો કે નોકરીદાતાઓ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
