ભરૂચ : શ્રવણ ચોકડીથી ગેલ કોલોની તરફ જતા પાછળના ભાગમાં ચાલી રહેલી રોડ સુધારણા કામગીરીને પગલે ભારે વાહન વ્યવહાર પર ૧૫ દિવસનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બી) હેઠળ હુકમ જાહેર કર્યો છે.
માહિતી મુજબ, શ્રવણ ચોકડી વિસ્તારમાં રસ્તાની બોક્સ કટિંગ, મેટલકામ તેમજ નવી ગટર લાઇન નાખવાની કામગીરી ચાલુ હોવાથી ભારે લોડેડ વાહનોની અવરજવર જોખમી બની શકે છે. આ સંદર્ભે ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના કાર્યપાલક ઇજનેરે રજૂઆત કરતાં પોલીસ અધિક્ષક દ્વારા રૂટ ડાયવર્ઝન સાથે પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હુકમ મુજબ, શ્રવણ ચોકડીથી ગેલ કોલોની પાછળના ભાગ સુધીના રસ્તા પર હેવી લોડેડ વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. વાહનોને તુલસી ચોક – ઉમરાજ પ્રાથમિક શાળા – ઉમરાજ ગામ – એસ.એચ.-૬ માર્ગ મારફતે ડાયવર્ટ કરવામાં આવશે.
સાથે જ, સતત પ્રક્રિયાવાળા અને આવશ્યક સેવાઓ માટે પણ આ જ રૂટ ડાયવર્ઝન લાગુ રહેશે. નિયમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે પોલીસ વિભાગે વાહનચાલકોને સૂચના આપી છે કે તેઓ જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી ટ્રાફિક વ્યવસ્થાને સહકાર આપે.
