અમદાવાદ:
રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ પણ અનેક તાલુકા અને જિલ્લા પંચાયતો તેમજ નગરપાલિકા-કોર્પોરેશનોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે પ્રથમ બેઠક બોલાવવામાં વિલંબ થતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાએ જણાવ્યું હતું કે, આ વિલંબ ઈરાદાપૂર્વક કરવામાં આવી રહ્યો છે જેથી “હોર્સ-ટ્રેડિંગ”, દબાણ અને લાલચ જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી શકે. તેમણે આ સ્થિતિને લોકશાહી માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો.
તેમણે ઉલ્લેખ કર્યો કે, Gujarat Panchayats Act, 1993 મુજબ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ પ્રથમ બેઠક “જલદી શક્ય હોય ત્યારે” બોલાવવાની જોગવાઈ છે, જેથી સત્તાનું હસ્તાંતરણ ઝડપથી થઈ શકે. છતાં વર્તમાન પરિસ્થિતિમાં આ પ્રક્રિયા લંબાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ છે.
કોંગ્રેસ દ્વારા કોડીનાર તાલુકામાં બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં ચૂંટાયેલા સભ્યો પર દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સાથે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.
કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ પ્રકારનો વિલંબ માત્ર પ્રક્રિયાત્મક નથી પરંતુ તે લોકશાહી મંડેટને અસર કરે છે અને જનતાના વિશ્વાસને ખંડિત કરે છે. સમયસર સત્તાનું ગઠન પણ ચૂંટણી પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ છે. સંદીપ માંગરોળાએ આ મુદ્દે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
સંદીપ માંગરોળાએ રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા કલેક્ટરોને રજૂઆત કરીને નીચે મુજબની માંગણીઓ કરી છે: તમામ સ્થાનિક સંસ્થાઓમાં પ્રથમ બેઠક 7 દિવસની અંદર ફરજિયાત બોલાવવામાં આવે અનાવશ્યક વિલંબ અટકાવવા સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે ચૂંટાયેલા સભ્યો પર દબાણ અથવા લાલચ અટકાવવા મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવે ઇરાદાપૂર્વક વિલંબ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે
