ભરૂચ :
Advertisement
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ ભરૂચ જિલ્લામાં વિદેશી નાગરિકોને મકાન, હોટેલ, લોજ, બોર્ડિંગ કે ગેસ્ટ હાઉસમાં આશરો આપતા પહેલાં પોલીસને જાણ કરવી ફરજિયાત બનાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી આ હુકમ અમલમાં મુકાયો છે.
પોલીસ અધિક્ષક ભરૂચના અહેવાલો, ગુપ્તચર એજન્સીઓની માહિતી તથા ભૂતકાળમાં બનેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાહેરનામામાં જણાવાયું છે. વિદેશી નાગરિકો દ્વારા સ્થાનિક પરિસ્થિતિની માહિતી મેળવી અસામાજિક કે ત્રાસવાદી પ્રવૃત્તિઓ થવાની શક્યતા સામે સાવચેતીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે.
માલિકો માટે ફરજિયાત નિયમો
- જાહેરનામા મુજબ હવે ભરૂચ જિલ્લામાં કોઈપણ મકાનમાલિક, હોટેલ, લોજ, બોર્ડિંગ, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળાના સંચાલકોએ વિદેશી નાગરિકને રહેવા આપતા પહેલાં તેની સંપૂર્ણ વિગતો નોંધવી પડશે.
- વિદેશી નાગરિકને રહેવા આપ્યા બાદ 24 કલાકની અંદર એલ.આઈ.બી. શાખાની ફોરેનર્સ બ્રાંચ તથા સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવી પડશે.
- પાસપોર્ટ, વિઝા અને ભારતમાં આવ્યાની વિગતોની નકલ રાખવી ફરજિયાત રહેશે.
- જો વિદેશી નાગરિકે રેસીડેન્સિયલ પરમિટ મેળવેલ હોય તો તેની નકલ પણ રાખવાની રહેશે.
- ફોરેનર્સ રજીસ્ટ્રેશન રૂલ્સ, 1939 મુજબનું સી-ફોર્મ ભરવાનું રહેશે.
- અજાણ્યા અથવા શંકાસ્પદ વિદેશી નાગરિકોને રહેવા માટે જગ્યા આપી શકાશે નહીં.
- વિદેશી મુલાકાતીના બુકિંગ કરાવનારની વિગતો અને મોબાઇલ નંબરનો રેકોર્ડ રાખવો પડશે.
- તેઓ કયા કામ માટે આવ્યા છે, કોને મળવાના છે અને કેટલો સમય રોકાવાના છે તેની વિગતો નોંધવાની રહેશે.
- શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી ફરજિયાત રહેશે.
- હોટેલ અને લોજમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખી ત્રણ મહિના સુધી રેકોર્ડિંગનો બેકઅપ સાચવવો પડશે.
- વિદેશી નાગરિક જે વાહનમાં આવે તેની વિગતો પણ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
નિયમભંગે ગુનો નોંધાશે જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધાશે. સાથે જ હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી હોવાનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું છે.
