સુરત ગ્રામ્ય એલસીબીએ રાજ્યભરમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી કુખ્યાત “મોહનીયા ગેંગ”ના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ રીઢા આરોપીઓને દાહોદ જિલ્લાના ઉંડાર ગામેથી ઝડપી પાડ્યા છે. ગેંગ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 15થી વધુ ગંભીર ગુનાઓમાં નાસતી ફરતી હતી.
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. એન.જી. પાંચાણીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે તાજેતરમાં કામરેજના સોવરીન બંગ્લોઝમાં થયેલી ચર્ચાસ્પદ ઘરફોડ ચોરી પાછળ દાહોદની “મોહનીયા ગેંગ”નો હાથ છે.
બાતમીના આધારે પોલીસે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપીઓ ડુંગરાળ વિસ્તારમાં રહેતા હતા અને પોલીસની હિલચાલની અગાઉથી જાણ થઈ જાય તે માટે પાલતુ કૂતરાઓ રાખતા હતા. જેથી પોલીસે ચોક્કસ રણનીતિ ઘડી મોડી રાત્રે અલગ-અલગ ટીમો દ્વારા એકસાથે દરોડો પાડી આરોપીઓ સાથે બાથ ભીડીને ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં દલીયો ઉર્ફે દલો ઉર્ફે ગાંડો કાળુભાઈ મોહનીયા, દિલીપ ઉર્ફે દીલો કાળુભાઈ મોહનીયા અને કલ્પેશ ઉર્ફે પટ્ટી પરશુભાઈ મોહનીયાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના સભ્યો મજૂરી કામના બહાને સુરત, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં રહેતા અને રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરીઓ આચરતા હતા.
તપાસ દરમિયાન આરોપીઓએ દમણમાં એક જ રાતમાં બે મંદિરો અને એક મકાનના તાળા તોડી અંદાજે રૂ. 1.33 કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યાની કબૂલાત પણ કરી છે. ઉપરાંત કામરેજમાં ચોરી દરમિયાન એક મહિલા જાગી જતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ખુલાસો થયો છે.
મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે વિવિધ કોર્ટ દ્વારા તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યા છે.
