ભરૂચ :
જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન રોડ-રસ્તાની સમસ્યાઓ, ચોમાસા પૂર્વે કાંસ સફાઈ, માર્ગોની મરામત, પીવાના પાણીની સુવિધા, બૌડાના પ્રશ્નો, ડીજીવીસીએલ સંબંધિત રજૂઆતો, જમીન માપણી, મોબાઈલ નેટવર્કની સમસ્યા તેમજ પ્લોટ ફાળવણી જેવા મુદ્દાઓ ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેએ અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના સમયબદ્ધ અને હકારાત્મક નિરાકરણ માટે રચનાત્મક સૂચનો આપ્યા હતા. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક માત્ર ચર્ચા માટે નહીં પરંતુ લોકોના પ્રશ્નોના પોઝિટિવ અને ઝડપી ઉકેલ માટેનું મંચ છે.
તેમણે અધિકારીઓને પારદર્શિતા સાથે કામગીરી કરવાની તેમજ દરેક પ્રશ્નને હકારાત્મક અભિગમથી લઈને વધુમાં વધુ સમસ્યાઓનું નિરાકરણ આવે તે રીતે કાર્યપ્રણાલી ગોઠવવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય અરૂણસિંહ રાણા, રિતેશભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
