ભરૂચ : રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે રૂ.20 લાખની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ‘વર્ધિયન’ અને ‘કુલચા કાફે’ના નામે ફ્રેન્ચાઈઝી આપવાની લાલચ આપી રોકાણકારોને છેતરવામાં આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરેએ દેશભરમાં 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના બતાવી રોકાણકારો પાસેથી લાખોનું રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. પરંતુ વાસ્તવમાં માત્ર 18 જેટલા આઉટલેટ્સ જ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાનાં આપી રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કૌભાંડનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નહીં, પરંતુ સામાન્ય વર્ગના લોકો પણ બન્યા છે. સુરત, વડોદરા સહિતના શહેરોમાં આલુ ટીક્કી, પીઝા અને અન્ય ફાસ્ટફૂડ સામગ્રી તૈયાર કરતી 40થી વધુ મહિલાઓ તથા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે.
સમગ્ર મામલે રોકાણકારોની ફરિયાદના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી સૌરભ શેરે સહિતના અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આર્થિક વ્યવહારો, રોકાણ અને ફ્રેન્ચાઈઝી કરારો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
