ભરૂચ :
શહેરના મકતમપુર સ્થિત ગુલમોહર સોસાયટી વિસ્તારમાં પારિવારિક અણબનાવ ઉગ્ર બનતા પિતા-પુત્ર સહિત પરિવારના સભ્યો સામસામે આવી જતા આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. બંને પક્ષોએ એકબીજા સામે મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદ મુજબ, મકતમપુરના ગુલમોહર સોસાયટીમાં રહેતા અને ડી.જે. સાઉન્ડ ઓપરેટિંગનું કામ કરતા 24 વર્ષીય રાજ વિનોદભાઈ પાટણવાડિયાએ પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ઘરનું સમારકામ ચાલતું હોવાથી તેઓ સગાંના ઘરે રહેવા ગયા હતા. તા.24 મેની રાત્રે તેઓ પોતાની પિતરાઈ બહેન દામિનીબેન સાથે જૂના ઘરે સફાઈ કરવા ગયા હતા. દરમિયાન તેમના પિતા વિનોદભાઈએ દામિનીબેન સાથે સફાઈ બાબતે બોલાચાલી કરી ગાળાગાળી શરૂ કરી હતી. રાજે વચ્ચે પડતા તેમના પિતા ઉશ્કેરાઈ ગયા હતા અને નજીકમાં પડેલો લાકડાનો સપાટો લઈને રાજને માર માર્યો હતો. આ દરમિયાન પરિવારના અન્ય સભ્યો વચ્ચે પડતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બીજી તરફ, વિનોદભાઈ શનાભાઈ પાટણવાડિયાએ પણ પોતાના દિકરા રાજ, મોટા ભાઈ હસમુખભાઈ અને ભત્રીજા રોનક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દામિનીબેને ઘરની બહાર સફાઈ કરી પરંતુ તેમના ઘરની સામે સફાઈ ન કરતા તેમણે ટકોર કરતા રાજ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી ઈંટ લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ હસમુખભાઈ અને રોનક પણ સપાટા લઈને આવી મારામારી કરી હોવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઇજાના આધારે તબીબી તપાસ સહિત વધુ તપાસ શરૂ કરી છે.
