ભરૂચ શહેરમાં જર્જરિત ઇમારતોને લઈને નગરપાલિકા દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે હવે નગરપાલિકાની પોતાની જ ઇમારતની હાલત અંગે પ્રશ્નો ઊભા થયા છે. પાલિકાની ઇમારતના વિવિધ ભાગોમાં તિરાડો પડેલી હોવા સાથે પ્લાસ્ટર ખસી રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
વિપક્ષે આ મુદ્દે પાલિકા તંત્ર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “બીજાને નોટિસ આપતી પાલિકા પહેલા પોતાની જ ઇમારતને નોટિસ આપે.” વિપક્ષના જણાવ્યા મુજબ, પાલિકા ઇમારત જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં કામ કરતાં કર્મચારીઓ તેમજ રોજબરોજ આવતા અરજદારોના જીવ જોખમમાં મુકાયા છે.

સ્થાનિક લોકો અને વિપક્ષી આગેવાનો દ્વારા પાલિકા તંત્ર પાસે તાત્કાલિક ઇમારતનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવી જરૂરી મરામત કામગીરી હાથ ધરવાની માંગ ઉઠી છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં સાવચેતીના પગલાં લેવા જરૂરી બન્યા હોવાનું પણ જણાવાયું છે.
ભરૂચ નગરપાલિકાની ઇમારતની વહેલી તકે મરામત કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
