ભરૂચ શહેરમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી ONGCના નિવૃત અધિકારી સાથે ₹1.91 કરોડની છેતરપિંડી આચરાયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સિદ્ધનાથ નગર વિસ્તારમાં રહેતા 64 વર્ષીય સુનિલ વર્મા વર્ષ 2023માં ONGCમાંથી નિવૃત થયા હતા. નિવૃત્તિ બાદ તેઓએ પોતાના તેમજ પરિવારના ભેગા મળી કુલ ₹1.91 કરોડનું રોકાણ રતન તળાવ વિસ્તારના મોહનબાગ પાસે રહેતા મહેન્દ્રકુમાર તિવારી પાસે કરાવ્યું હતું.
આરોપી મહેન્દ્ર તિવારીએ રોકાણ સામે સારા વળતરની ખાતરી આપી હતી અને શરૂઆતમાં સુનિલ વર્માને કુલ ₹13.78 લાખ જેટલું વળતર પણ ચૂકવ્યું હતું. જોકે છેલ્લા બે મહિનાથી રૂપિયા આપવાનું બંધ કરી દેતાં સુનિલ વર્માને શંકા ઉપજી હતી.
આ મામલે જ્યારે તેઓએ એન્જલ વન બ્રોકિંગમાં કરાયેલા રોકાણ તથા પોતાના રૂપિયા અંગે મહેન્દ્ર તિવારી પાસે પૂછપરછ કરી ત્યારે તેણે રૂપિયા ખર્ચાઈ ગયા હોવાનું કહી “આવશે ત્યારે આપીશ” એવો ઉડાઉ જવાબ આપ્યો હતો.
પોતાની સાથે રોકાણના નામે ₹1.91 કરોડની મોટી છેતરપિંડી થયાની લાગણી થતાં સુનિલ વર્માએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રકુમાર તિવારી સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
