ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા હાલમાં માત્ર એક જ સમય પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે શહેરીજનો પહેલેથી જ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. તેવામાં ભરૂચના શક્તિનાથ વિસ્તારની સોસાયટીઓમાં પાણી આવવાના સમયે જ લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાલિકા દ્વારા પાણી છોડવામાં આવ્યું તે જ સમયે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. સતત લગભગ બે કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતાં લોકો પોતાના ઘરની ઈલેક્ટ્રિક મોટર ચાલુ કરી શક્યા નહોતા. પરિણામે લો-પ્રેશરના કારણે ઉપરના માળે પાણી પહોંચી શક્યું નહોતું.
પરિસ્થિતિ એવી સર્જાઈ કે મહિલાઓને ડોલ અને ડ્રમ લઈને નીચે પાણી ભરવા દોડવું પડ્યું હતું. પાણી માટે રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એક તરફ ઉનાળાની શરૂઆત અને બીજી તરફ માત્ર એક જ સમય પાણી મળતું હોવાથી ગૃહિણીઓનું દૈનિક આયોજન ખોરવાઈ ગયું છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા અને વીજ કંપની વચ્ચે કોઈ પ્રકારનું સંકલન નથી. પાણીના નિશ્ચિત સમયે જ વીજ કાપ મુકાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય આયોજન અને સંકલન કરવાની માંગ ઉઠાવી છે.
