ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે રહેતા ભરતભાઈ બહેચરભાઈ પરમારે પોતાની પત્નીના મોત મામલે તબીબો અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરી ડી.એસ.પી. કચેરી ખાતે રજૂઆત કરી છે. પત્નીના ઓપરેશન બાદ મોત નિપજતાં ડોક્ટરોની બેદરકારી જવાબદાર હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસ તપાસમાં ઈરાદાપૂર્વક વિલંબ કરી આરોપીઓને બચાવવાનો પ્રયાસ થતો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
રજૂઆત મુજબ, મીનાબેન પરમારનું ભરૂચ સ્થિત નાઓને કેર એન્ડ કોર હોસ્પિટલ ખાતે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેમની તબિયત વધુ બગડતાં તેમને આદર્શ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તા. 25 ફેબ્રુઆરી 2026ના રોજ તેમનું મોત થયું હતું.
આ બનાવ અંગે “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાઈ તપાસ સીંધવાઈ પોલીસ ચોકીના પી.એસ.આઈ.ને સોંપવામાં આવી હતી. જોકે, ત્રણ માસ જેટલો સમય પસાર થવા છતાં હજુ સુધી કોઈ ફોજદારી ગુનો નોંધાયો નથી.
ફરીયાદી ભરતભાઈ પરમારે આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા માત્ર વિસેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી હોવાનું કહી કાર્યવાહી ટાળવામાં આવી રહી છે. તેમનું યોગ્ય નિવેદન લેવામાં આવ્યું નથી તેમજ આરોપી ડોક્ટરોના નિવેદનો અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.
પરિવારે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
